મિત્રો ચાલો "ભગવદ્ગોમંડલ" ગુજરાતીભાષાના મહાન જ્ઞાનકોશના સથવારે તમામ વિષયોને આવરી લેતી ગુજરાતી ભષાની વૈવિધ્ય સભર માહિતી આત્મસાત કરી આપણા જીવનમાં તેનો વિનિમય કરીએ
૧૯૪૦માં પહેલી વાર પ્રકાશિત થયેલા આ ગ્રંથમાં ૨.૮૨ લાખ શબ્દોની કુલ ૮.૨૨
લાખ શબ્દોમાં અત્યંત વિસ્તૃત સમજ આપવામાં આવી છે! ગોંડલ રાજયના એ સમયના
મહારાજા ભગવદસિંહજીની પ્રેરણાથી, ૨૭ વર્ષોની મહેનતથી કુલ નવ ભાગમાં આ દળદાર
ગ્રંથ તૈયાર થયો, પણ પહેલી આવૃત્તિની માત્ર ૫૦૦ પ્રત છપાઈ હતી, જે ૧૯૫૮
સુધીમાં તો અપ્રાપ્ય બની ગઈ. એ પછી લગભગ કોઈ પ્રકાશક એની પુન:આવૃત્તિની હામ
ભીડવા તૈયાર નહોતા ત્યારે, રાજકોટના પ્રવીણ પ્રકાશને ૧૯૮૭માં અને પછી
હમણાં આ વર્ષે આ દુર્લભ ગ્રંથ ફરી લોકોના હાથમાં મૂકયો. અને હવે, પ્રિન્ટ
આવૃત્તિની જેની કિંમત સાડા સાત હજાર જેટલી છે એવો આ સંપૂણર્ ગ્રંથ પ્રવીણ
પ્રકાશને ઇન્ટરનેટ પર મૂકી દીધો છે – ગુજરાતીઓની સેવામાં, બિલકુલ નિ:શુલ્ક!
જ્ઞાનકોશમાં સાહિત્ય, વિજ્ઞાન, સમાજ, વ્યકિત, ઇતિહાસ, ભૂગોળ, ખગોળ,
વ્યાપાર, આયુર્વેદ, શિલ્પશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નૃત્ય, સંગીત, રસોઈ,
પશુ-પક્ષી, રોગ, યોગ વગેરે તમામ વિષયો આવરી લેવામાં આવ્યા છે. ગુજરાતી
ભાષાના કુલ ૨૮,૧૫૬ રૂઢિપ્રયોગો ને ૧૦,૦૦૦ જેટલી કહેવતોનું અપાર વૈવિઘ્ય પણ આ
કોશમાં તમારી સમક્ષ છતું થાય છે!આ કોશની અસલ પ્રથમ આવૃત્તિના નવેનવ ભાગનાં
તમામ પાનાં સ્કેન કરીને મૂકવામાં આવ્યાં છે. સાથે યુનિકોડની મદદથી સર્ચની
સગવડ છે. યુનિકોડથી ગુજરાતીમાં લખી ન શકતા લોકો માટે સરળ કી-બોર્ડ પણ તમારી
સમક્ષ હાજર છે. ‘નર્મદા’ લખીને સર્ચ કરો એટલે ગ્રંથનું ૪૮૬૨મું પાનું ખૂલે
અને ત્યાંથી સંખ્યાબંધ પાનાંઓ સુધી નર્મદા સંબંધિત માહિતીનો ખજાનો
વિસ્તરતો રહે, જેમાં નર્મદાના તીરે આવેલાં સેંકડો તીર્થ અને નર્મદાનાં હજાર
નામ પણ જાણવા મળે!